Breaking News

IIT JEE માં ૩૬૦ માર્ક્સનો સ્કોર કરનારા કલ્પિત વીરવલની સફળતાનું રહસ્ય

IIT JEE માં ૩૬૦ માર્ક્સનો સ્કોર કરનારા કલ્પિત વીરવલની સફળતાનું રહસ્ય આઇઆઇટી જેઇઇમાં સારો સ્કોર કરવા માટે દેશના લાખો વિદ્યાર્થીઓ રોજના ૧૮ કલાક મહેનત કરે છે, લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, કોટા જાય છે અને તાણનો ભોગ બને છે તો પણ બધા વિદ્યાર્થીઓ તેમાં સફળ થતા નથી. ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં મામૂલી કમ્પાઉન્ડરની નોકરી કરતા પુષ્કર લાલ વીરાવલના ૧૭ વર્ષીય પુત્ર કલ્પિત વીરાવલે આઇઆઇટી જેઇઇમાં ૩૬૦માંથી ૩૬૦ માર્ક્સ મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. કલ્પિતના કહેવા મુજબ તે દરરોજ ૧૮ કલાક નહીં પણ માત્ર પાંચ કલાક નિયમિત વાંચીને આ પરાક્રમ કરી શક્યો છે. કલ્પિતની સફળતા પાછળ જે કારણો પડેલાં છે તેનું વિશ્લેષણ દેશના લાખો વિદ્યાર્થીઓને ઉપયોગી બને તેવું છે. 
(૧) કલ્પિતની સફળતાની કથા વાંચનારા દરેક વિદ્યાર્થીએ અને વાલીએ પહેલી વાત એ યાદ રાખવી જોઇએ કે દરેક વિદ્યાર્થીને ગણિત અને વિજ્ઞાનમાં રસ નથી હોતો. કલ્પિતને વિજ્ઞાનમાં રસ હતો માટે જ તેણે નવમાં ધોરણમાં હતો ત્યારે ઇન્ડિયન જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ભાગ લઇને પહેલો ક્રમાંક હાંસલ કર્યો હતો. જેમને આ વિષયોમાં જન્મજાત રસ હોય તેમણે જ આઇઆઇટીની પરીક્ષા માટે તૈયારી કરવી જોઇએ. માબાપે પોતાની અધૂરી ઇચ્છાઓ પૂરી કરવા વિદ્યાર્થીઓની ક્ષમતા જોયા વિના તેમને વિજ્ઞાન પ્રવાહમાં ધકેલવા જોઇએ નહીં. 
(૨) જો વિદ્યાર્થીને વિજ્ઞાનમાં ખરેખરો રસ હોય અને તેની મહેનત કરવાની તૈયારી હોય તો તેણે કોટા જવાની કોઇ જરૂર નથી. પોતાના ઘરે રહીને પણ તે આઇઆઇટી જેઇઇ માટે તૈયારી કરી શકે છે. કલ્પિતને પણ તેના મિત્રોએ કોટા જવાની સલાહ આપી હતી, પણ તેને શિક્ષણ બોજારૂપ બની જાય તે પસંદ નહોતું. શિક્ષણને તે આનંદરૂપ બનાવવા માગતો હતો. માટે તે ઉદયપુરમાં રહીને ભણ્યો હતો. સ્કૂલ ઉપરાંત સારા સ્થાનિક કોચિંગ ક્લાસની પણ તેણે મદદ લીધી હતી. 
(૩) કલ્પિત આઠમાં ધોરણમાં આવ્યો ત્યારે જ તેણે નક્કી કરી લીધું હતું કે તેણે વિજ્ઞાન પ્રવાહમાં જવું છે અને એન્જિનિયર બનવું છે. આ કારણે આઠમા ધોરણથી જ તેણે આઇઆઇટી જેઇઇને નજરમાં રાખીને ભણવાનું શરૂ કરી દીધું હતું. આજકાલના વિદ્યાર્થીઓ દસમાં ધોરણમાં પાસ થાય પછી વિજ્ઞાન પ્રવાહમાં જવાનો નિર્ણય કરે છે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. 
(૪) કલ્પિત નિયમિત પોતાની સ્કૂલમાં જતો હતો અને હોમવર્ક પણ કરતો હતો. આજકાલ આઇઆઇટી જેઇઇ આપાવા માગતા કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલમાં જવાનું બિલકુલ બંધ કરી દે છે તે ખોટું કરે છે. માત્ર કોચિંગ ક્લાસમાં ભણવાથી પરીક્ષા પાસ કરી શકાતી નથી. સ્કૂલમાં ભણવાથી તેને બીજા સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ભળવાનો અને હળવા થવાનો મોકો મળે છે. 
(૫) કલ્પિત કહે છે કે તે શિક્ષણને બોજારૂપ બનાવવા માગતો નહોતો, માટે તેણે કોટા જવાનું પસંદ નહોતું કર્યું. જે વિદ્યાર્થી કોટા ભણવા જાય છે તેની પાછળ માબાપો લખલૂટ ખર્ચા કરતા હોવાથી તેમની અપેક્ષાઓના બોજા હેઠળ બાળક કચડાઇ જાય છે. તેને ડર લાગે છે કે જો તે પાસ નહીં થાય તો માબાપના લાખો રૂપિયા પાણીમાં જશે તેનો ઠપકો સાંભળવો પડશે. આ કારણે તેનો સ્ટ્રેસ વધી જાય છે અને પોતાના મનગમતા વિષયો ભણવાનો આનંદ ઝૂંટવાઇ જાય છે. તેને બદલે ઘરે રહીને પોતાના મનગમતા વિષયો ભણવાથી પરિવાર સાથે રહેવાનો આનંદ પણ માણી શકાય છે. 
(૬) આઇઆઇટી જેઇઇની પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે માનસિક ઉપરાંત શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવું બહુ આવશ્યક હોય છે. કલ્પિત કહે છે કે ભણતરનાં વર્ષો દરમિયાન તે પોતાના આરોગ્યની જોરદાર કાળજી રાખતો હતો. આ માટે તેણે પોતાની નિયમિત દિનચર્યા ગોઠવી દીધી હતી. કલ્પિત ક્યારેય મોડી રાત સુધી ઉજાગરા કરીને ચાકોફીનું સેવન કરતો નહોતો. ભણતરનાં વર્ષો દરમિયાન શરદી કે ખાંસી પણ ન થઇ જાય તેનું તે ધ્યાન રાખતો હતો. 
(૭) કોઇ પણ વિદ્યાર્થી આઇઆઇટી જેઇઇમાં સફળ થવા માટે દિવસરાત ભણભણ કરે તો તેનું મગજ બહેર મારી જાય છે અને તેને કોઇ વિષયો યાદ રહેતા નથી. આ કારણે મગજને આરામ આપવા માટે શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અત્યંત આવશ્યક બની જાય છે. કલ્પિત દરરોજ અમુક કલાક ક્રિકેટ અને બેડમિંટન પાછળ કાઢતો હતો. કલ્પિતને સંગીત સાંભળવાનો પણ શોખ છે. સંગીતનો ઉપયોગ તે સ્ટ્રેસથી દૂર રહેવા માટે કરતો હતો. આ પ્રવૃત્તિઓ નિયમિત કરવાને કારણે ભણવાનો બધો થાક ઊતરી જતો અને કલ્પિતનું મગજ પાછું રિચાર્જ થઇ જતું હતું. 
(૮) કલ્પિત પોતાની સફળતાનો યશ પોતાના શિક્ષકો, માતાપિતા અને મોટા ભાઇને આપે છે. વિદ્યા વિનયથી જ શોભે છે, તેવી સંસ્કૃત કહેવત કલ્પિતે ગાંઠે બાંધી છે. કલ્પિત હંમેશા તેના શિક્ષકો અને માતાપિતા જે સલાહ આપે તેનું નિષ્ઠાથી પાલન કરતો હતો. ઘણા વિદ્યાર્થીઓને સફળતા મળે ત્યારે તેમને ઘમંડ આવી જાય છે અને તેઓ પોતાના ઉપકારીઓને ભૂલી જાય છે. આવા વિદ્યાર્થીઓ જીવનમાં પછડાટ ખાધા વિના રહેતા નથી. કલ્પિત પોતાના માતાપિતા ઉપરાંત શિક્ષકો માટે પણ વિનયનો ભાવ ધરાવતો હોવાથી તેની બુદ્ધિ પણ સોળે કળાએ ખીલી હતી. 
(૯) આઇઆઇટી જેઇઇમાં સફળતા હાંસલ કરવા માટે બજારમાં ઘણાં મોંઘાદાટ પુસ્તકો મળતા હોય છે, જેનો અભ્યાસ પણ કેટલાક વિદ્યાર્થીઓ કરતા હોય છે. કલ્પિત કહે છે કે તેવાં પુસ્તકો વાંચવાની કોઇ જરૂર નથી. બારમાં ધોરણ માટે એનસીઇઆરટી દ્વારા જે પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે તે શ્રેષ્ઠ છે. તેનું પુનરાવર્તન કરવાથી જેઇઇની તૈયારી થઇ જાય છે. કલ્પિત કહે છે કે તેણે નવેમ્બર મહિનામાં એક વખત અને ફેબ્રુઆરીમાં બીજી વખત બધાં પાઠ્યપુસ્તકોનું પુનરાવર્તન કરી લીધું હતું; કારણ કે તેણે માર્ચમાં બોર્ડની પરીક્ષા આપવાની હતી. ત્યાર બાદ એપ્રિલ મહિનામાં જેઇઇની પરીક્ષા માટે તેણે ગયાં વર્ષના પ્રશ્નપત્રો સોલ્વ કર્યાં હતાં. 
(૧૦) આઇઆઇટી જેઇઇમાં સફળ થવા માટે પરીક્ષાના પેપરો લખવાની તાલીમ બહુ ઉપયોગી પુરવાર થતી હોય છે. કલ્પિત બે વર્ષ જે કોચિંગ ક્લાસમાં ભણ્યો તેમાં દર ત્રણ અઠવાડિયે પરીક્ષા લેવામાં આવતી હતી, જેને કારણે કલ્પિતને પરીક્ષાનો અનુભવ મળી ગયો હતો. વળી વારંવાર પરીક્ષા આપવાને કારણે તેના મનમાંથી પરીક્ષાનો ભય પણ નાબુદ થઇ ગયો હતો. ઘણા વિદ્યાર્થીઓ

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો