Breaking News

ખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ

ખોરાક પર સંયમ 

મનુષ્યોના આવેગોને સમજવા જેવા છે. જેમ કે ભૂખતરસનો આવેગ. પ્રાણીઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે. તેના શરીરની રચના એવી રીતે કરાઈ છે કે તેને સમય-સમય ઉપર અન્નજળ વગેરેની આવશ્યકતા પડે જ. મશીનમાં ઈંધણ ભરવું પડે. ઈંધણ વિના મશીન ચાલી ન શકે, પણ ઈંધણ ખૂટી ગયું હોય તો મશીનને ભૂખનો આવેગ નથી આવતો. એટલે તે જડ છે. એટલે તે સુખદુ:ખથી પર છે. પણ પ્રાણીઓને ભૂખ લાગે છે. જેમ જેમ ભૂખ વધતી જાય છે તેમ તેમ તેનો આવેગ પ્રબળ થતો જાય. જેમ જેમ આવેગ પ્રબળ બનતો જાય તેમ તેમ તે પોતાની જાત ઉપરથી કાબૂ ગુમાવતાં જાય. તેનાં વિનય, વિવેક, સમજણ વગેરે આવેગના વંટોળમાં ઊડી જાય. સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ આવેગની તાણમાં તણાઈ જાય. આ કુદરતી વ્યવસ્થા છે. પ્રાણીમાત્ર આ વ્યથાની પકડમાં પકડાયેલાં છે.

મહાભારતમાં યુદ્ધમેદાનમાં હણાયેલા પોતાના સો પુત્રોનાં શબ જોઈને વ્યાકુળ બનેલી ગાંધારી હૃદયફાટ રુદન કરી રહી છે. આ કરુણ દ્રશ્ય જોઈને અર્જુનને પીડા થાય છે. જરૂર ગાંધારી રડી રડીને મરી જશે તેવી ખાતરી થાય છે. પણ શ્રી કૃષ્ણ ગંભીર છે. તે કહે છે, ‘અર્જુન, મારી પ્રકૃતિને જો. પ્રાણી ઉપર પ્રકૃતિનું સામ્રાજ્ય છે, એટલે વિશ્વ ચાલે છે.’ થોડી જ વારમાં ગાંધારીને ભૂખ લાગે છે. ક્રમે ક્રમે ભૂખનો આવેગ વધતો જાય છે. અહીં રણમેદાનમાં ખાવાનું ક્યાંથી લાવવું ? પણ તેની નજર દૂરના એક આમ્રવૃક્ષ ઉપર પડે છે. ત્યાં જઈને જુએ છે તો એક સરસ મજાની પાકેલી કેરી દેખાય છે. ઊંચા હાથ કરીને તોડવા પ્રયત્ન કર્યો પણ ત્યાં હાથ પહોંચાયો નહિ. ઊંચા થવા માટે પોતાના પુત્રનું શબ લઈ આવીને ઉપર ચડીને કેરીને તોડવાનો પ્રયત્ન કર્યો તોપણ કેરી ઊંચી જ રહી. એક પછી એક સોએ સો પુત્રોનાં શબ ગોઠવીને ગાંધારીએ કેરી તોડવા પ્રયત્ન કર્યો. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘જો અર્જુન, આ કુદરતની વ્યવસ્થા જો. ભૂખના આવેગ આગળ આ માતા રાંક થઈ ગઈ છે. પુત્રશોકમાં વ્યાકુળ બનેલી હવે એ જ સ્ત્રી ભૂખની પીડાથી વ્યાકુળ થઈને પુત્રોનાં શબ ગોઠવી રહી છે.
ભૂખનો આવેગ કુદરતી વ્યવસ્થા છે. તેમાં પણ બે વિભાગ છે : પેટમાંથી ઉત્પન્ન થયેલો આવેગ અને રસનેન્દ્રિયમાંથી સ્વાદ માટે ઉત્પન્ન થયેલો આવેગ. કુદરતે માત્ર ઉદરમાં જ ભૂખ મૂકી હોત અને સ્વાદનો આવેગ ન મૂક્યો હોત તો માણસ મોટા ભાગે મશીન કે અર્ધમશીન જેવો બની ગયો હોત. જેમ મોટરગાડીની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરી લેવાય છે તેમ માણસ પણ પોતાના ખાલી પેટમાં ગમે તે ખોરાક ભરી લેત. પણ માણસ મશીન નથી. તેને સ્વાદ જોઈએ છે. માત્ર પેટ ભરવાનો પ્રશ્ન નથી. સ્વાદિષ્ટ વસ્તુઓથી પેટ ભરવાનો પ્રશ્ન છે. ઘણી વાર ઉદર તૃપ્ત હોય પણ સ્વાદેન્દ્રિય અતૃપ્ત હોય. માત્ર સ્વાદેન્દ્રિયની તૃપ્તિ માટે જે ખોરાક લેવાય છે તે અસંયમ છે, અતિભોગ છે. તે કુદરતી પણ નથી. એટલે તેનાં પરિણામે રોગ છે. અહીંથી માણસની જવાબદારી શરૂ થાય છે. ઉદર અને સ્વાદ બંને એકબીજાનાં પૂરક બને તો ખોરાક સુખરૂપ થવાની સાથે જીવન બને છે. પણ જો ઉદર અને સ્વાદ બંને એકબીજાનાં વિરોધી બને તો ખોરાક દુ:ખરૂપ બનીને જીવનને મૃત્યુમાં પલટાવે છે. કેટલાક લોકોએ એવો માર્ગ શોધ્યો કે ખોરાક અને સ્વાદ બંનેનો ત્યાગ કરવો. આત્મબળ દ્વારા કે દુરાગ્રહ દ્વારા આવી પ્રક્રિયા થોડા દિવસો તો ચલાવી શકાય, પણ અંતે ખોરાકની અનિવાર્યતા રહેવાની જ. એટલે આ માર્ગમાં સાતત્ય નથી. ઘણી વાર એવું પણ બને કે ખોરાક અને સ્વાદનો ત્યાગ કરેલો હોય એવો માણસ અંતે બેબાકળો થઈને ખોરાક ઉપર તૂટી પડે. આ સંયમ નથી પણ નિગ્રહ છે. નિગ્રહ કુદરતી નથી. એટલે નિગ્રહની પાળ તૂટવાની જ છે. કોઈની બે દિવસ વહેલી તૂટે તો કોઈની બે દિવસ મોડી તૂટે. પણ નિગ્રહ કદી ચિરંજીવી ન હોઈ શકે. (હા, સંયમ જરૂર ચિરંજીવી થઈ શકે.) નિગ્રહની પાળ જ્યારે તૂટે છે ત્યારે તળાવનું સંગ્રહાયેલું તમામ પાણી વહી જાય છે. તળાવ ખાલી થઈ જાય છે અને વહેલું પાણી સ્વયં નષ્ટ થઈ, બરબાદી પ્રસરાવે છે, તેમ તૂટેલો નિગ્રહ પ્રચંડ વેગથી વહેવા માંડે છે. એટલે ખોરાકનો નિગ્રહ એ કલ્યાણમાર્ગ નથી.
કેટલાક લોકોએ એક બીજો માર્ગ શોધ્યો. તે છે ખોરાકનો સંયમ અને સ્વાદનો નિગ્રહ. માપસરનો ખોરાક ખાવાનો પણ તેને સ્વાદ વિનાનો બનાવીને ખાવાનો. ખોરાક સ્વાદ વિનાનો હોય એટલે આપોઆપ તેની માત્રા ઓછી થઈ જાય. સ્વાદના કારણે વધુ ને વધુ ખાવાનો લોભ ન રહે. એટલે ખોરાકની માત્રા સીમિત થઈ જાય. આ માર્ગ પહેલા માર્ગ કરતાં થોડો ઠીક છે. પણ આમાં પણ નિગ્રહ તો છે જ. સ્વાદનો નિગ્રહ તન-મન બંનેને હાનિ પહોંચાડે છે તે વાત વૈરાગ્યભાવવાળા લોકો ભૂલી જાય છે. કુદરતે મુખમાં સ્વાદ મૂક્યો છે તે માત્ર સ્વાદસુખ મેળવવા કે અકરાંતિયા થઈને ખા ખા કરવા નથી મૂક્યો. પણ ખોરાક સાથે સ્વાદની અનિવાર્ય ઉપયોગિતા સ્થાપિત કરવા મૂક્યો છે. જેમ ઘંટીમાં અનાજ નાખો અને તેનો લોટ થઈ જાય, તેમ મોઢામાં ખોરાક મૂકો અને તે પકવાશયમાં જઈને પચી જાય તેવી વ્યવસ્થા નથી. ખોરાકને જોતાં જ તમારા મોઢામાં પાણી આવે, તો નિશ્ચિત પ્રકારના હૉર્મોન ઉત્પન્ન થાય. આ હૉર્મોન ખોરાકને પચાવવાના રસો ઉત્પન્ન કરે છે. આ રસોથી ખોરાક પચે છે. ખોરાકને જોઈને જ જો મોઢું બગડી જાય, કડવી દવા જોતાં તથા તે પીતાં જે દશા થાય છે તેવી દશા થાય તો ઊલટા હૉર્મોન ઉત્પન્ન થાય, તેથી ખોરાક પચે નહિ. સતત અપ્રિય ખોરાક ખાવાથી અજીર્ણ, મરડો, એનીમિયા અને અલ્પાહારની બીમારીઓ થવા લાગે છે. એટલે ખોરાકનો સંયમ અને સ્વાદનો નિગ્રહ એ માર્ગ પણ યોગ્ય નથી.
જીવન માટે સ્વાદ જરૂરી છે. પણ સ્વાદ વિકૃત ન હોય, વિસંવાદી ન હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાદનો અત્યંત ત્યાગ જો લોકચાહના મેળવવા માટે કર્યો હોય તો તે વ્યક્તિના વ્યક્તિત્વ માટે પણ હાનિકારક છે. મોટા ભાગે કુદરતી જીવનનો ત્યાગ કોઈ ને કોઈ રીતે લોકચાહના માટે જ કરાતો હોય છે, કોઈ ખોરાક અને સ્વાદ છોડી દે અથવા સ્વાદ વિનાનો ખોરાક લે તો લોકો તેને ત્યાગ-વૈરાગ્ય માને છે. તેથી અંજાઈ જાય છે. અંજાયેલા લોકો આવી વ્યક્તિઓમાં ચમત્કારોની સૃષ્ટિ ઊભી કરે છે. ચમત્કારોની કાલ્પનિક સૃષ્ટિમાં પેલી વ્યક્તિનું વ્યક્તિત્વ નિરૂપણ થવા લાગે છે. આ આખા મિથ્યાવ્યક્તિત્વને પોષવા માટે પેલો ખોરાક અને સ્વાદનો ત્યાગ મૂલાધાર બને છે. એટલે ઉપરથી મહાન ગણાતા આવા પુરુષો અંદરથી વાંસ જેવા પોલા અને વ્યક્તિત્વ વિનાના બની જાય છે. લોકચાહનારૂપી લક્ષ્યને સિદ્ધ કરવા ખોરાક અને સ્વાદનો નિગ્રહ એ સાધના બની જાય છે
આવા માણસોનું બરાબર નિરીક્ષણ કરશો તો દેખાશે કે તેઓ રોગી, ફિક્કા, નિસ્તેજ, દુર્બળ અને જોમ-જુસ્સ્સા વિનાના, મંદ ઈચ્છાશક્તિવાળા હોય છે. હા, જો લોકચાહના લક્ષ્ય ન હોય તો આટલી બધી વિકૃતિ નથી આવતી પણ મોટા ભાગે જ્યાં અકુદરતી નિગ્રહો જ પ્રતિષ્ઠાનું માપ બનતા હોય ત્યાં પ્રારંભમાં આવા નિગ્રહો પોતાની આત્મતૃપ્તિ માટે આચરાયા હોય તો પણ આગળ જતાં એ લોકચાહનાનાં સાધનો બની જતાં હોય છે. એટલે શરૂઆતમાં માત્ર સ્વેચ્છાથી જે વ્યક્તિ આવો નિગ્રહ કરતી હોય છે, તે આગળ જતાં સ્વેચ્છાની જગ્યાએ લોકેષણાના દબાણ નીચે આવી જતી હોય છે. લોકેષણાના દબાણમાં આવેલી વ્યક્તિને આગળ જતાં પોતાની ભૂલ સમજાય તો પણ તે ભૂલને સુધારી શકતી નથી, ઊલટાનું પોતાની ભૂલને જ આદર્શ, તપ અથવા ત્યાગનો જામો પહેરાવવાનું ચાલુ રાખે છે. પ્રજાની વિકૃતિનું આ મૂળ છે.
એક ત્રીજો માર્ગ છે. ખોરાક અને સ્વાદ બન્નેનો નિગ્રહ નહિ, પણ બંનેનો સંયમ. ખોરાક લેવાનો જ, તે પણ સ્વાદિષ્ટ ખોરાક લેવાનો, ઉચિત માત્રામાં હિત-મિત-પથ્ય સાથે લેવાનો. રસોઈ પણ કળા છે. તેનું પણ એક શાસ્ત્ર છે – ‘પાકશાસ્ત્ર’. આહાર એ કુદરતી વ્યવસ્થા છે. તનમનને રુચે, ગમે તેવો અને આરોગ્યનાં પરિણામ આપે તેવો યોગ્ય સ્વાદિષ્ટ ખોરાક લેવાનો જ. તેથી સુખ, તૃપ્તિ અને શાન્તિ ત્રણે મળે છે. ભૂખના આવેગને ત્રાસરૂપ માની તેમાંથી મુક્ત થવા ખોરાકનો નિગ્રહ કરવો અને સ્વાદના આવેગથી છૂટવા સ્વાદમાત્રનો નિગ્રહ કરવો, એ કુદરતી માર્ગ નથી, એટલે હિતાવહ પણ નથી. ભૂખ્યા માણસનું મન સતત ખોરાકનું ચિંતન કર્યા કરશે. જ્યારે તૃપ્ત થયેલા માણસનું મન ખોરાકથી પાછું હઠીને શાન્તિનો અનુભવ કરશે. અશાન્તિનાં બે મુખ્ય કેન્દ્રો છે : (1) અત્યંત નિગ્રહ અને (2) અતિભોગ. આ બન્નેનો ત્યાગ કરી જે મધ્યમાર્ગી – સંયમી જીવન જીવે છે તે સુખશાન્તિનો અધિકારી બને છે.
આરોગ્યવર્ધક કહેવતો
લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે
હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. 
બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે. 
કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે, 
માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે. 
જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું. આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી :
****ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય, દૂધ સમાન ત્રિલોકને અવર ન ઔષધ કોય. 
**** શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ 
**** દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય, ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય. 
**** ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય. 
દૂધ, અનાજ અને કઠોળ માણસમાત્રનો રોજિંદો આહાર છે. આ આહાર કેમ લેવો, કેટલો લેવો, ક્યારે લેવો એનું જ્ઞાન જૂનાકાળે આરોગ્ય સાથે જોડાયેલી કહેવતો આપતી. કોઠાસૂઝવાળા લોકકવિઓના અનુભવ આરોગ્યરક્ષક અનાજ કઠોળની કહેવતોની આજે મારે વાત કરવી છે. અહીં લોકકવિઓએ અનુભવ જે તે અનાજને મોઢે બોલાવ્યો છે, છે તો નાનકડી જ વાત પણ અહીં લોકકવિની જે તે વિષયની સૂક્ષ્મ સૂઝ તરી આવે છે :
***ઘઉં કહે હું લાંબો દાણો, વચમાં પડી લી, મારી મજા લેવી હોય તો લાવો ગોળ ને ઘી. 
***ઘઉંની પોળી નીપજે, ઘઉંના ઘેબર થાય, જેવા ઘઉં કેળવે, તેવાં ભોજન થાય. 
ઘઉં એ અનાજનો રાજા છે. ઘઉંમાંથી થુલી, ઘઉંના લોટમાંથી રાબ, સુખડી, શીરો, લાડવા, રોટલી, ભાખરી, પૂરી, થેપલાં, પરોઠા, સેવ, હલવો, બરફી, ચુરમુ, ઘઉંના મેંદામાંથી સુવાળી, ઘારી, ઘઉંના પોંકનું જાદરિયું, ઠોર, જલેબી, માલપુવા, ઘેબર, ઘેંસ, લાપસી વગેરે બને છે. ઘઉંની પણ કેટકેટલી જાતો. ભાલિયા, બંસી, કાઠા, પુનમિયા, પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન, રાતાઘઉં વગેરે. ઘઉં સ્નિગ્ધ, મધુર, બળકર, ધાતુવર્ધક, સારક, વાયુકરનાર અને કફનાશક મનાય છે. લોકસમાજે ભાવતાં ભોજન સાથે ભગવાનનેય કેવા જોડી દીધા છે !
રામનામ લાડવા, ગોપાળ નામ ઘી, કૃષ્ણનામ ખીર ખાંડ, ઘોળી ઘોળી પી.
અર્થાત : દૂધ, ઘી, ખાંડ, દૂધની ખીર અને લાડવા રામ અને કૃષ્ણનું નામ લેતાં લેતાં ખાતાં રહો. ઘઉં પછી બાજરી આવીને બોલે છે :
કાળી છું પણ કામણગારી, લેશો ના મુજ વાદ, વાદ કર્યામાં વળશે શું, પણ જોઈ લ્યો મુજ સ્વાદ.
બાજરો એક એવું અનાજ છે જેને માણસો ને ઘોડા બેય ખાય છે. બેયનો આહાર છે. કહેવાય છે કે કચ્છનો રાજવી લાખો ફુલાણી જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એનો રસાલો દૂર દૂર અંધારિયા આફ્રિકા ખંડમાં નીકળી ગયો. બધા ભૂલા પડ્યા. ખાવાનું કંઈ ન મળે. એવામાં ખેતરમાં અનાજના ડૂંડા જોયાં. ભૂખ્યા રાજવી, સાથીદારો અને ઘોડાએ એ ડૂંડા ખાવા માંડ્યા. થોડા દીમાં તો ઘોડામાં તાકાત આવી અને ઉંમરલાયક બુઢ્ઢાઓને નવી જુવાની ફૂટી 
બલિહારી તુજ બાજરા, જેનાં લાંબા પાન, ઘોડાને પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન
કિંવદિંત કહે છે કે, લાખો ફુલાણી અંધારિયા ખંડમાંથી કચ્છમાં બાજરો પહેલવહેલો લાવ્યો હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજારજવાડામાં ને ગામધણી દરબારો ને ઘરધણી માણસ ઉત્તમ ઓલાદના અશ્વો રાખતા અને ચાંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી ઉંમરે માણસને માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો એટલે કહ્યું છે કે, ‘બુઢ્ઢા થયા જુવાન.’ બાજરીની બીજી પણ કહેવતો છે 
(1) રોટલો બાજરીનો ને કજિયો વાઘરીનો (દેવીપૂજકનો). 
(2) બાજરી કહે હું બળ વધારું, ઘઉં કહે હું ચોપડ માગું. હવે લીલુડા મગની કેફિયત આવે છે, મગ શું કહે છે ? 
(3)મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ, મારો ખપ ત્યારે પડે, માણસ હોય માંદું. 
બધા પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગનો દાણો લીલછોયો હોય છે અને દાણા ઉપર એને કાંટો ફૂટે ઈ જગ્યાએ ટપકું, ચાંદુ હોય છે. આવા મગની જરૂર બે પ્રસંગે પડે. એક તો આપણે ત્યાં કંઈક મંગલ પ્રસંગ હોય ત્યારે લાપસી સાથે મગનું શાક શુકન ગણાય છે. એથીય આગળચાલીએ તો માણસને મોટા મંદવાડે ઘેરી લીધો હોય ને આઠ-દસ માતરાયું (લાંઘણ ઉપવાસ) થઈ હોય ત્યારે મગના પાણીથી એના ખોરાકની શરૂઆત વૈદ્યોને ડૉક્ટરો કરાવતા હોય છે. આમ મગ પચવામાં હલકા, નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ ઉપવાસ કરતાં જૈનોમાં મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા કાળા મગ. મગ પચવામાં હલકા, શીતલ, સ્વાદુ સહેજ વાતકારક અને નેત્રો માટે હિતકારક છે એમ આયુર્વેદ કહે છે. મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે. 
(1) મગના ભાવે મરી વેચાય.
(2) મોંમાં કંઈ મગ ઓર્યા છે ? 
(3) મગમાંથી પગ ફૂટ્યા. 
(4) દેરાણી જેઠાણીના મગ ભેગા ચડે પણ શોક્યોના મગ ભેગા ન ચડે. 
(5) હજુ ક્યાં ચોખા-મગ ભેગા મળી ગયા છે ?
(6) વાણિયાભૈ મગનું નામ મરી નો પાડે. 
(7) એક મગની બે ફાડ્ય. 
(8) જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.
ગરીબડી ગણાતી જુવાર આવીને કહે છે :
જુવાર કહે હું રાતીધોળી, કોઠીની છું રાણી, ગરીબોનું હું ખાણું છું ને મારી થાયે ધાણી.
જુવાર કહે હું ગોળ દાણો, ને મારા માથે ટોપી, મારો ફાલ ખરો લેવાને, કાળી ભોંયમાં રોપી.
જુવાર કહે છે કે હું સુખિયા નહીં, પણ દુઃખિયા, ગરીબ લોકોનું ખાણું ગણાઉં છું. જુવાર પૌષ્ટિક ગણાય છે. સુરતી જુવારનો પોંક છેક મુંબઈ સુધી જાયે છે. જુવાર ખાવામાં મીઠી, પચવામાં હલકી છે. જુવારના રોટલા, ઢોકળાં બને છે. ગામડામાં ગરીબગુરબા જુવાનો બોળો કે ઘેંસ બનાવીને પેટ ભરી લ્યે છે. હુતાસણીના પર્વ પ્રસંગે જુવારની ધાણી ખાવાનો રિવાજ છે. બદલાતી ઋતુમાં આ જ ધાણી કફ દૂર કરનારી છે એમ વૈદ્યો કહે છે. આજે કબૂતરોને નાખવામાં આવતી જુવાર તો બાપા જગનું ઢાંકણ છે. માનવી પ્રભુને પ્રાર્થના કરતો કહે છે કે, ‘હે પ્રભુ, આછુંપાતળું જુવાર બાજરાનું ઢેબરું મળે તોય ઘણું.’
લોકકવિ ચોખાની ઓળખ આ રીતે આપે છે : 
ચોખો કહે કે હું ધોળોદાણો, મારા માથે અણી, મારી મજા લેવી હોય તો દાળ નાખજો ઘણી. 
ભારતમાં ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને ‘શાલિ’ કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે. ચોખાની બારમાસી, સુરતી, કોલમ, લાલ ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે. સાઠી અર્થાત સાઈઠ દિવસે પાકતી કમોદ. ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતું : 
સાઠી ચાવલ ભેંસ દૂધ, ઘેર શીલવતી નાર, ચોથો ચડવા રેવતો (અશ્વ) ઈ સરગ નીસરણી ચાર.
આયુર્વેદની દષ્ટિએ ચોખા ઠંડા છે, તે ગરમીને મટાડનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, મીઠા, બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, મુત્ર અને મળને કાઢનાર, કફ ઓછો કરી બુદ્ધિ વધારનાર ગણાય છે. ચોખાની પણ કહેવતો જુઓ. 
(1) ચોખો ચંપાય ને દાળ દબાય. 
(2) ચોખા ભેગી ઈયળ બફાઈ જાય. 
(3) દેરાણીજેઠાણીના ચોખા ભેગા ચડ્યાં સાંભળ્યાં નથી. 
એ રીતે તુવેરરાણી ગુજરાતમાં ઘરોઘર માનીતાં છે. 
ગુજરાતણોની રસોઈમાં આ રાણી રોજ હાજર હોય છે, હવે એની વાત સાંભળો : 
તુવેર કહે હું તાજો દાણો, રસોઈની છું રાણી, મારો સ્વાદ લેવો હોય તો, પ્રમાણમાં નાખો પાણી. ****
તુવેર કહે હું દાળ બનાવું, રસોઈનો રાખું રંગ, જે ઘરમાં તુવેર ન હોય તેના જોઈ લ્યો ઢંગ.
તુવેરની દાળ બને, દાળઢોકળી બને. પુરણપોળી બને. દરેક કઠોળના લોટના પાપડ બને, પણ તુવેર એવું કઠોળ છે કે એનો લોટ બનતો નથી. લીલી તુવેર બાફી મીઠું નાખીને ખવાય. તુવેરદાણા-લીલવાનું સરસ શાક થાય. કચોરી બને. વૈદ્યો કહે છે કે તુવેરદાળ ભારે, લુખી અને ઠંડી છે. શરીરની ક્રાંતિ વધારે છે. પિત્ત, વિષ, રક્તદોષ, વાયુ, પેટનો દુઃખાવો અને હરસ મટાડે છે. ઘીમાં ખાવાથી ત્રિદોષનો નાશ કરે છે. પિત્ત, કફ, મેદ અને કૃમિનો નાશ કરે છે. શિવરાતના કોઈ ભાંગ ચડી હોય તો એક ચમચો તુવેરની દાળ વાટીને તેનું પાણી પાવામાં આવે છે.
એ રીતે શક્તિવર્ધક ચણા સાથે કેવી મજાની કહેવતો જોડાઈ છે ?
ચણો કહે હું ખરબચડો, ને પીળો રંગ જણાય, રોજ પલાળી દાળ ખાય, તે ઘોડા જેવો થાય. ***
ચણો કહે હું ખરબચડો ને મારા માથે અણી, ભીની દાળને ગોળ ખાય તો બને મલ્લનો ધણી.
કઠોળમાં સૌથી વધુ વપરાશ ચણાનો રહે છે. ચણાના લોટમાંથી સેવ, ગાંઠિયા, ભજિયાં, પાતરા, બુંદી, લકડશી લાડુ, મગસ, મોહનથાળ, ખાંડવી વગેરે બને છે. ચણાના લોટમાં દૂધ કે મલાઈ કે હળદ મેળવીને સ્નાન કરવાથી શરીરનો વાન ઊઘડે છે, ક્રાંતિ વધે છે. ગામડામાં જૂના કાળે અમુક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે જાનને મરિયા-બાફીને વઘારેલા ચણાનું શાક ને સુખડી આપવામાં આવતા. આ ચણા શીતળ, વાયુ કરનાર, પિત્તહર, રક્તદોષ હરનાર, કફહર, હલકા ને દસ્ત રોકનાર ગણાય છે. તે જવરને પણ મટાડે છે. ચણા સાથે જોડાયેલી અન્ય કહેવતો :
ચણાવાળાની દીકરી ને મમરાવાળાની વહુ, લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ. 
અડદ કાળા કઠોળમાં આવે. એના માટે કહેવાય છે કે, જો ખાય અડદ તો થાય મરદ. એનીય કહેવતો લોકકંઠે રમતી જોવા મળે છે : 
અડદ કહે હું કાળો દાણો, પૌષ્ટિકતામાં પહેલો, માણસને હું મરદ બનાવું, જો મસાલો ભેળો. 
**** 
અડદ કહે હું કાળો દાણો, માથે ધોળો છાંટો, શિયાળામાં સેવન કરો, તો શરીરમાં આવે કાંટો. 
****
અડદ કહે હું કઠોર દાણો, ચીકાશ મુજબમાં ઝાઝો, ખટ (છ) મહિના જો મુજને ખાઓ, બળિયા સાથે બાઝો. 
સૌરાષ્ટ્રમાં અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. 
પટેલો અને રાજપૂતો એનો ઉપયોગ નિયમિત રીતે કરતાં જોવા મળ્યા છે. અડદમાં પ્રોટિન વધારે હોવાથી તે બળવર્ધક બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી બારમાસીની શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના દર્દીને અડદના વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, ધાવણ વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મળમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે. 
દિવાળીનું પરબ આવે ત્યારે બાઈયુંને મઠિયા યાદ આવે. ચણા બાજરાની જેમ મઠ માણસોય ખાય ને ઘોડાય ખાય, એટલે કહેવાય છે : 
મઠ કહે હું ઝીણો દાણો, મારા માથે નાકું, મારી પરખ ક્યારે પડે કે ઘોડું આવે થાક્યું.
મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે : ઉ…ત,
મઠને ખેતર માળો નંઈ, ઉંદરને ઉચાળો નંઈ, ઘેલીને ગવાળો નંઈ ને કુંભારને સાળો નંઈ
મઠનું સંસ્કૃત નામ મુકુષ્ઠક છે. તે વાયુ કરનાર, જઠરાગ્નિને મંદ કરનાર, કૃમિ અને તાવ મટાડનાર મનાય છે. ચોળા એ વાયડું કઠોળ ગણાય છે. એને માટે કહેવાય છે :

મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો ના રહે, વા કરે ઢગ, સહેજ ઢાંક્યો ના રહે
મગની જેમ ચોળા શુકનવંતુ કઠોળ ગણાય છે. જૈનો દિવાળી અને બેસતા વર્ષે શુકનમાં ચોળા ખાય છે. એથી તો કહેવત પડી કે :
લોક કરે ઢોકળાં, વૈદ્ય વઘારી ખાય, દિવાળીને પરોઢિયે, પાટણનું મહાજન મનાવવા જાય.
આ ચોળા ભારે, વાયુ કરનાર, નારીનું ધાવણ વધારનાર છે. બાળકોને ચોળા પચવામાં ભારે પડે છે. એનું પણ કહેવત જોડકણું : 
બાળક કહે, મેં ખાધા ચોળા મા કહે મારા બગાડ્યા ખોળા. 
આપણે કઠોળ રોજ ખાઈએ છીએ પણ એના વિશે ભાગ્યે જ કશું જાણીએ છીએ. આપણી કહેવતો કેવું મજાનું લોકશિક્ષણ આપે છે. આપણે એનો અભ્યાસ કરીએ તો ખબર પડે ને !

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો