Breaking News

સ્વર્ગ અને નર્ક -- બોધ કથા.-2

એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ , “ ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું.
 

બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?” બાળકે કહ્યુ , “ પ્રભુ, પહેલા નરક બતાવો પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.”
ભગવાન બાળકને લઇને નરકમાં ગયા. દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા. બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા. જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા. આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા. કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા. બાળકે ભગવાનને પુછ્યુ , “ પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?”
ભગવાને બાળકને કહ્યુ , “ બેટા , આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઉંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમા એ સફળ થતા નથી.”
બાળકે દલીલ કરતા કહ્યુ , “ પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે. ભોજન સામે હોવા છતા તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઇ શકતા નથી.” ભગવાને કહ્યુ , “ ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું એ જોઇને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઇ જશે અને હું અન્યાય કરુ છુ કે કેમ તે પણ તને ખબર પડી જશે.”
બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો. અહિંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજન હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાય બધાના ચહેરા પર આનંદ હતો. બધા શાંતિથી ભોજન લઇ રહ્યા હતા. બાળકે ધ્યાનથી જોયુ તો અહિંયા પણ દરેક લોકોની શારિરીક સ્થિતી નરક જેવી જ હતી મતલબ કે કોઇના હાથ કોણીથી વળી શકતા નહોતો પરંતું લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામ-સામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળીયો સામેવાળી વ્યક્તિના મુખમાં મુકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વિકારતા હતા.
બાળકે ભગવાનની સામે જોઇને હસતા હસતા કહ્યુ , “ પ્રભુ મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરોબર સમજાઇ ગયો.”

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરુર નથી એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે. ‘તારુ જે થવુ હોય તે થાય હું મારુ કરુ’ આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને ‘ મારુ જે થવુ હોય તે થાય પહેલા હું તારુ કરુ’ આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો