Breaking News

બોધકથા -19 સુષુપ્ત શક્તિઓ ખીલી શકે?

આજે હું એક ખુબ જ રસપ્રદ વાત વાર્તા સ્વરૂપે કહું છું, જેને તને તમારા હ્રદયમાં અંકિત કરી દેજો...
નિલ્સ નામનો એક વ્યક્તિ હિન્દ મહાસાગરના કોઈ એક ટાપુ પર રહેતો હતો. તે તીવ્ર બુદ્ધિવાળો, સુંદર દેખાવ અને ખડતલ શરીરવાળો એક યુવાન હતો. એના માટે સૌ કોઈ ઉચ્ચ અભિપ્રાય ધરાવતા હતા. પરંતુ જયારે તેણે લગ્ન કર્યા,

ત્યારે ટાપુ પરના લોકોએ અત્યંત આશ્ચર્ય અનુભવ્યું. એણે લગ્ન માટે પસંદ કરેલી કન્યા એકદમ સામાન્ય, દુબળી-પાતળી, અંતર્મુખી અને પહેલી નજરે જરાય આકર્ષક ન લાગે તેવી હતી. લોકો વિચારવા લાગ્યા કે નિલ્સને આ કન્યા કેવી રીતે ગમી? અને આટલું ઓછુ હોય તેમ આ કન્યા સાથે લગ્ન કરવા કન્યાના પિતાને તેણે ૧૦ ગાયો આપી! ટાપુ પરના રિવાજ પ્રમાણે કન્યાના પિતાને ગાયો આપવી, એ તો જાણે બરાબર હતું પણ આશ્ચર્ય તો એ વાતનું હતું કે અત્યંત સુંદર, દેખાવડી અને પ્રભાવશાળી છોકરી હોય તો પણ ૫ ગાયો તો અધધ.... કહેવાય અને આવી કન્યા માટે નિલ્સ જેવા સામાન્ય માણસે ૧૦ ગાયો આપી?!

મિત્રો, માણસો તો બધે સરખા જ હોય ને? ૫-૭ દિવસો વાતો કરીને બધા પોતપોતાના જીવનમાં પરોવાઈ ગયા. ૨-૩ વર્ષ પછી આ ટાપુ પર એક મહોત્સવનું આયોજન થયું અને આ પ્રસંગે બધા ભેગા થયા. નિલ્સ પણ તેની પત્ની સાથે આવ્યો. આ પ્રસંગે પણ નિલ્સે સૌને આશ્ચર્યજનક ઝાટકો આપ્યો. એની પત્ની અત્યંત આકર્ષક, ચબરાક અને આત્મવિશ્વાસથી છલકાતી હતી. લોકો નિલ્સને ઘેરી વળ્યા અને પૂછવા લાગ્યા કે એક સામાન્ય સ્ત્રીમાં ન કલ્પી શકાય એવું પરિવર્તન, એ કઈ રીતે લાવ્યો?

નિલ્સે કહ્યું કે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? મેં જ્યારે એના માટે ૧૦ ગાયો આપી ત્યારે સહુને થયું કે ઘણી મોટી કીમત આપી. સ્વાભાવિક છે કે એવું તેણીએ પણ અનુભવ્યું. પરંતુ મેં તેનામાં એવી લાગણી જન્માવી કે એ ખરેખર એ મૂલ્યને યોગ્ય હતી. ધીરેધીરે તેને પણ એવું લાગવા માંડ્યું કે તે આ ટાપુ પરની કોઈ પણ સ્ત્રીથી વધુ મુલ્યવાન છે. બસ તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવવા માંડી અને એ દિવસે ને દિવસે વધુ આકર્ષક અને આત્મવિશ્વાસ સભર બનવા માંડી...!

વાત હવે શરુ થાય છે, મારા શિક્ષક મિત્રો...! વિચારો તે નાનકડા ટાપુ પર રહેતા સામાન્ય માણસ નિલ્સની આ સમજ આ વિશ્વના કેટલા પુરુષો અને કેટલા શિક્ષકોમાં હશે...?
સ્ત્રી હોય કે બાળક- મોટાભાગનાં એને સમજવાની પળોજણમાં જ નથી પડતાં. તો પછી તે કેટલી મુલ્યવાન છે એવું વિચારવાની કે સમજવાની તો વાત જ ક્યા રહી? ઘણા શિક્ષકો અભ્યાસક્રમને જ વળગી રહે છે અને એકદમ કુત્રિમ રીતે વર્તે છે. પહેલા પણ મેં ક્યાંક કહ્યું હતું કે કોઈ કોઈને ભણાવી શકાતું નથી, તમારે માત્ર એક એવું વાતાવરણનું નિર્માણ કરવાનું છે કે જેમાં બાળક જાતે ભણે, બસ બીજુ કઈ નહિ! તેમની અંદર રહેલી નકારાત્મકતાને દુર કરીને તેમને વધુ હકારાત્મક બનાવવા. તેમની અંદરની કુદરતી શક્તિઓને ઓળખી અને તેણે બહાર લાવવી પડે છે.

અને છેલ્લે..... “દરેક બાળકમાં એક સંવેદનશીલ, લાગણીસભર અને એક મહાન માણસ છુપાયેલો હોય છે વાસ્તવિક જીવનમાં તે કેટલી હદે વ્યક્ત થશે, તેનો આધાર એક શિક્ષક પોતે પોતાની સાથે અને તે બાળક સાથે કેવો વ્યવહાર કરે છે, તેના પર છે.”- balakનું આ quote હંમેશા યાદ રાખજો..................!!!

અને હવે એકદમ હેલ્થીચર્ચા આ ટોપિક પર કરો દોસ્તો...
વિષય : બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ કે જેથી તેમની સુષુપ્ત શક્તિઓ ખીલી શકે?

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો